Zoho ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને એક મોટી ચેતવણી આપી છે. વેમ્બુના મતે, AI ટૂંક સમયમાં જ એડવાન્સ્ડ ગણિતમાં નિપુણતા મેળવી લેશે, જે સોફ્ટવેર ડેવલપમેન્ટના આખા ક્ષેત્રને બદલી નાખશે.
ગણિતમાં AI નું વર્ચસ્વ
શ્રીધર વેમ્બુ માને છે કે AI માત્ર ભાષા જ નહીં, પરંતુ ગણિતના જટિલ કોયડાઓ ઉકેલવામાં પણ પારંગત થઈ રહ્યું છે. આ કોઈ દૂરની વાત નથી, પરંતુ નજીકના ભવિષ્યની વાસ્તવિકતા છે. ટેક સેક્ટરમાં આ બદલાવનો સીધો અર્થ એ છે કે પ્રોગ્રામિંગ કરવાની રીત હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. વેમ્બુના મતે, આવનારા સમયમાં મશીનો મોટા પાયે કોડ લખશે, જ્યારે માણસોનું મુખ્ય કામ આ કોડની વિશ્વસનીયતા તપાસવાનું એટલે કે 'વેરિફિકેશન' કરવાનું રહેશે.
માનવ નિર્ણયની જરૂરિયાત
આ ટેકનિકલ યુગમાં માનવ નિર્ણયશક્તિ જ સાચી ઓળખ બની રહેશે. વેમ્બુ ફોર્મલ વેરિફિકેશન ટૂલ્સ પર ભાર મૂકે છે, જે કોડની ચોકસાઈ સાબિત કરવામાં મદદ કરે છે. આ સિસ્ટમ સિસ્ટમિક ભૂલોને રોકવા માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે.
AI ઇન્વેસ્ટમેન્ટ પર વેમ્બુનું સાવચેત વલણ
ઘણી મોટી ટેક કંપનીઓ જ્યારે AI પાછળ કરોડોનું આંધણ કરી રહી છે, ત્યારે Zoho આ બાબતે અલગ રસ્તો અપનાવી રહી છે. Zoho એક પ્રાઈવેટ, સેલ્ફ-ફંડેડ અને ડેટ-ફ્રી કંપની હોવાથી, તેને ટૂંકા ગાળાના માર્કેટ રિઝલ્ટનું દબાણ નથી. શ્રીધર વેમ્બુ હાલના AI ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ઝીને 'ડોટ-કોમ યુગ' સાથે સરખાવી રહ્યા છે. તેઓ ચેતવણી આપે છે કે કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે AI પાછળ આંધળી દોટ મૂકી રહી છે, પરંતુ તેનાથી થતા ખર્ચ, હાર્ડવેર અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જોખમ માર્કેટ કરેક્શન લાવી શકે છે.
