ITR-3, ITR-4, ITR-5 અથવા ITR-7 ફાઈલ કરનારા ટેક્સપેયર્સ માટે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ અંતિમ તારીખ છે. જો તમે આ ડેડલાઈન ચૂકી ગયા તો સેક્શન 234F હેઠળ પેનલ્ટી લાગશે અને સૌથી મોટો ફટકો એ પડશે કે તમે તમારા બિઝનેસ કે માર્કેટના લોસ (Loss) ને આગળના વર્ષોમાં કેરી ફોરવર્ડ નહીં કરી શકો.
Assessment Year ૨૦૨૬-૨૭ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ નજીક આવી રહી છે. જે ટેક્સપેયર્સને ટેક્સ ઓડિટની જરૂર નથી અને જેઓ બિઝનેસ કે પ્રોફેશનલ ઈનકમ ધરાવે છે, તેમના માટે આ તારીખ અત્યંત મહત્વની છે.
પેનલ્ટી અને વ્યાજનો માર
જો તમે નિર્ધારિત સમયમાં રિટર્ન નહીં ભરો, તો સેક્શન 234F હેઠળ દંડ ભરવો પડશે. જે વ્યક્તિની કુલ આવક ₹૫ લાખથી વધુ છે, તેમણે ₹૫,૦૦૦ પેનલ્ટી ચૂકવવી પડશે, જ્યારે ₹૫ લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે આ દંડ ₹૧,૦૦૦ રહેશે. આ ઉપરાંત, જો કોઈ ટેક્સ બાકી હશે, તો સેક્શન 234A હેઠળ દર મહિને ૧% ના દરે વ્યાજ પણ વસૂલવામાં આવશે.
રોકાણકારો માટે સૌથી મોટું જોખમ
સ્ટોક માર્કેટના રોકાણકારો અને બિઝનેસમેન માટે માત્ર પેનલ્ટી જ નહીં, પણ લોસ કેરી ફોરવર્ડ કરવાની સુવિધા ગુમાવવી એ સૌથી મોટું નુકસાન છે. જો તમે સમયસર રિટર્ન નહીં ભરો, તો તમે તમારા કેપિટલ લોસ કે ટ્રેડિંગ લોસને આવતા વર્ષોમાં સેટ-ઓફ (Set-off) કરી શકશો નહીં. આ લાભ ગુમાવવાથી ભવિષ્યમાં તમારે વધુ ટેક્સ ભરવો પડી શકે છે.
શું બેલેટેડ રિટર્નથી બચી શકાય?
સરકાર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી 'બેલેટેડ રિટર્ન' ભરવાની છૂટ આપે છે, પરંતુ તેમાં લોસ કેરી ફોરવર્ડ કરવાનો લાભ મળતો નથી. તેથી, ટેક્સ પ્લાનિંગમાં ફ્લેક્સિબિલિટી જાળવવા માટે ૩૧ ઓગસ્ટ પહેલા રિટર્ન ફાઈલ કરવું જ હિતાવહ છે. જેમને ટેક્સ ઓડિટની જરૂર છે તેમના માટે ડેડલાઈન ૩૧ ઓક્ટોબર અને ટ્રાન્સફર પ્રાઈસિંગના કેસ માટે ૩૦ નવેમ્બર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
