નેપાળ-તિબેટ બોર્ડર પર આવેલા ગિરુંગ ઇમિગ્રેશન સેન્ટર પર ભીષણ પૂર આવતા ઈશા ફાઉન્ડેશનના **80** શ્રદ્ધાળુઓ સંપર્કવિહોણા થયા છે. સદગુરુએ તાત્કાલિક બચાવ કામગીરી માટે ભારત અને ચીન સરકાર પાસે વિશેષ પરવાનગી માંગી છે.
આધ્યાત્મિક ગુરુ સદગુરુએ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત, ચીન અને અમેરિકાના સત્તાધીશોને નેપાળ-તિબેટ સરહદ પર પહોંચવા માટે તાત્કાલિક રાજદ્વારી અને ભૌતિક મંજૂરી આપવા વિનંતી કરી છે. ઈશા ફાઉન્ડેશનના 80 જેટલા શ્રદ્ધાળુઓ કે જેઓ કૈલાશ માનસરોવરની યાત્રાએથી પરત ફરી રહ્યા હતા, તેઓ ગિરુંગ ઇમિગ્રેશન સેન્ટર પર ભીષણ પૂર આવતા લાપતા થયા છે.
શું બની ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમિગ્રેશન ચેકપોઈન્ટ પર પૂરના પાણી ફરી વળતા આખું સેન્ટર નાશ પામ્યું છે. આ વિસ્તારમાં પૂરના કારણે રસ્તાઓ, પુલ અને અન્ય પરિવહન સુવિધાઓનો સંપૂર્ણ નાશ થતા ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું છે. સંદેશાવ્યવહારના માધ્યમો કપાઈ જવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
રેસ્ક્યુમાં મુખ્ય અવરોધો:
તિબેટના સાગા ખાતે હાજર સદગુરુ સતત રાજદ્વારી સ્તરે સંપર્કમાં છે. જોકે, ખરાબ હવામાન અને ધરાશાયી થયેલા રસ્તાઓને કારણે બચાવ ટીમો માટે આ વિસ્તાર દુર્ગમ બની ગયો છે. સરહદી વિસ્તાર હોવાથી ભારત અને ચીન વચ્ચેના સંકલન પર જ બચાવ કામગીરીનો આધાર છે.
આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોના મૃત્યુના અહેવાલ છે અને સેંકડો લોકો હજુ પણ લાપતા હોવાનું અનુમાન છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા કોમ્યુનિકેશન લાઇન્સ પુનઃસ્થાપિત કરવાની અને કાટમાળ હટાવીને ફસાયેલા શ્રદ્ધાળુઓ સુધી પહોંચવાની છે.
