મુંબઈના નેવી નગર વિસ્તારમાં 15મી ઓગસ્ટે એક ભયાવહ ઘટના બની, જ્યાં ભારતીય નૌસેનાના એક 30 વર્ષીય જવાન, તેમની પત્ની અને બે નાના બાળકો મૃત હાલતમાં મળી આવ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે અને નૌસેના પણ આ ઘટનામાં સહકાર આપી રહી છે.
આ દુઃખદ ઘટના 15મી ઓગસ્ટે મુંબઈના નેવી નગર ખાતે બની, જ્યાં નૌસેનાના પરિસરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોના મોત થયા છે.
મૃતકોમાં 30 વર્ષીય નૌસેના જવાન પુરાણમલ શંભુલાલ મેહરા, તેમની 28 વર્ષીય પત્ની ઓમા, ત્રણ વર્ષીય પુત્ર યશ અને બે મહિનાની પુત્રીનો સમાવેશ થાય છે.
કફ પરેડ પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ 15મી ઓગસ્ટે કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જવાનને ફાંસી પર લટકાવેલી હાલતમાં જોયો હતો, જ્યારે તેમની પત્ની અને બંને બાળકો પથારી પર મૃત મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે પત્ની અને બાળકોનું મોત ઝેરને કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય નૌસેનાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.
