Income Tax Appellate Tribunal (ITAT) એ એક મહત્વના કેસમાં સ્પષ્ટ કર્યું છે કે મૃત વ્યક્તિના નામે મોકલેલી ટેક્સ રિ-અસેસમેન્ટ નોટિસ કાયદેસર રીતે માન્ય નથી. આ નિર્ણયથી કરદાતાઓને મોટી રાહત મળી છે.
દિલ્હી સ્થિત ITAT ની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે મૃત વ્યક્તિને મોકલવામાં આવેલી ટેક્સ રિ-અસેસમેન્ટ નોટિસ શરૂઆતથી જ 'void ab initio' એટલે કે ગેરકાયદેસર ગણાય છે. આ નિર્ણયના પગલે વર્ષ 2009-10 ના એસેસમેન્ટ યર માટે કરવામાં આવેલી ₹8.71 કરોડની ટેક્સ ડિમાન્ડને ટ્રિબ્યુનલે રદ કરી દીધી છે.
શું હતો મામલો?
ટેક્સ વિભાગે વર્ષ 2013 માં સર્ચ દરમિયાન મળેલી એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટના આધારે કેપિટલ ગેઈન ટેક્સની માંગણી કરી હતી. જેમાં મિલકતની વેચાણ કિંમત રજિસ્ટર્ડ દસ્તાવેજોમાં દર્શાવેલ ₹2.75 કરોડ ને બદલે ₹9.90 કરોડ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ટેક્સ વિભાગે 31 માર્ચ 2016 ના રોજ નોટિસ જાહેર કરી, જ્યારે તે વ્યક્તિનું અવસાન ઓક્ટોબર 2015 માં જ થઈ ચૂક્યું હતું.
કાયદાકીય સ્થિતિ
ITAT એ સ્પષ્ટ કર્યું કે ટેક્સ વિભાગને વ્યક્તિના મૃત્યુની જાણ હોવા છતાં તેમના નામે પ્રોસીડિંગ્સ ચાલુ રાખવી એ કાયદાકીય ભૂલ છે. ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 292BB હેઠળ સામાન્ય પ્રક્રિયાકીય ક્ષતિઓ સુધારી શકાય છે, પરંતુ મૃત વ્યક્તિને મોકલેલી નોટિસને આ કાયદા હેઠળ માન્ય ગણી શકાય નહીં.
આ ચુકાદો ટેક્સ વિભાગ પર પણ જવાબદારી મૂકે છે કે તેઓ કાયદાકીય નોટિસ આપતા પહેલા યોગ્ય વ્યક્તિની તપાસ કરે. ભલે આ ટેક્સ માંગણી રદ થઈ હોય, પરંતુ ટ્રિબ્યુનલે એ પણ નોંધ્યું છે કે જો કાયદેસરના વારસદારો સામે નવી પ્રોસીડિંગ્સ શરૂ કરવી હોય, તો ટેક્સ વિભાગ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને તે કરી શકે છે.
