Allahabad High Court એ પોલીસકર્મીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે કસ્ટોડિયલ વાયોલન્સના આરોપી પોલીસકર્મીઓ સરકારી સુરક્ષા કે ઈમ્યુનિટીનો દાવો કરી શકશે નહીં, જેનાથી તેમની સામે ફોજદારી કાર્યવાહી સરળ બનશે.
પોલીસની મનમાની પર લગામ
Allahabad High Court ના જસ્ટિસ મદન પાલ સિંહની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવતી મારપીટ, છેડતી કે ગેરકાયદેસર હુમલાને 'સરકારી ફરજ' (Official Duty) નો ભાગ ગણી શકાય નહીં. આ ચુકાદો વર્ષ 2022 માં બાંદાના બાબેરૂ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાના સંદર્ભમાં આવ્યો છે.
કેસનું મુખ્ય પાસું: CrPC ની કલમ 197
સામાન્ય રીતે, સરકારી કર્મચારીઓ CrPC ની કલમ 197 હેઠળ કાયદાકીય સુરક્ષા માંગતા હોય છે, જેમાં કોઈપણ કેસ ચલાવવા માટે અગાઉથી સરકારની પરવાનગી લેવી અનિવાર્ય હોય છે. આરોપી પોલીસકર્મીઓએ દલીલ કરી હતી કે તેઓ તપાસ દરમિયાન ફરજ પર હતા, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હિંસા અને ડરાવવાની ઘટનાઓને સરકારી ફરજની આડમાં છુપાવી શકાય નહીં.
હવે આગળ શું?
આ આદેશ બાદ હવે આરોપી અધિકારીઓ સામે સરકારની પૂર્વ મંજૂરી વિના કેસ ચાલશે. આ કેસ મૂળ 2022 માં પદરી ગામમાં બનેલી ઘટના સાથે જોડાયેલો છે, જ્યાં પોલીસ પર કસ્ટડીમાં અત્યાચારનો આરોપ હતો. હવે આ કેસમાં ઈન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળ તોફાન, ઈજા પહોંચાડવી અને ગુનાહિત ધાકધમકી જેવા ગંભીર આરોપો પર સુનાવણી આગળ વધશે.
