ભારત સરકારની મહત્વકાંક્ષી કોલ ગેસિફિકેશન યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. ₹37,500 કરોડના પ્રોજેક્ટ માટે એક પણ કંપનીએ રસ દાખવ્યો નથી, જે સરકારી ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશન વ્યૂહરચના સામે સવાલો ઉભા કરે છે.
સરકારની યોજના કેમ પડી પાછી?
સરકારે દેશમાં કોલ ગેસિફિકેશનને વેગ આપવા માટે ₹37,500 કરોડની પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી, પરંતુ આ ટેન્ડર પ્રક્રિયામાં એક પણ કંપની સામેલ થઈ નથી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિદેશી કેમિકલ્સ, યુરિયા અને ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવાનો હતો.
આયાતનું મોટું ભારણ
માત્ર FY25 માં જ ભારતે એમોનિયા, મેથેનોલ અને કોકિંગ કોલ જેવી ચીજવસ્તુઓની આયાત પાછળ અંદાજે ₹2.77 લાખ કરોડ ખર્ચ્યા છે. આયાત પરની આ નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઘરેલુ કોલસામાંથી સિન્થેટિક ગેસ બનાવવા પર ભાર મૂકી રહી હતી, જેથી સપ્લાય ચેઈનને સ્થિર કરી શકાય.
કંપનીઓ કેમ નથી કરી રહી રોકાણ?
ઉદ્યોગના નિષ્ણાતોના મતે પ્રોજેક્ટમાં ભાગ ન લેવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- ઊંચું મૂડી રોકાણ: ગેસિફિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે ખૂબ જ મોટું રોકાણ કરવું પડે છે.
- કોલસાની ગુણવત્તા: ભારતીય કોલસામાં રાખ (Ash) નું પ્રમાણ વધારે હોય છે, જે તેને પ્રોસેસ કરવા માટે ટેકનિકલી જટિલ બનાવે છે.
- અનિશ્ચિતતા: કંપનીઓને ફિક્સ કોલ લિંકેજ અને ખરીદદારોની ગેરંટીનો અભાવ જણાઈ રહ્યો છે, જેના કારણે લાંબાગાળાનું રોકાણ જોખમી લાગે છે.
હવે આગળ શું?
જોકે, ₹8,500 કરોડ ની બીજી એક નાની યોજના હેઠળ ૮ પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે, પરંતુ આ મોટા ટેન્ડરની નિષ્ફળતા બાદ હવે Ministry of Coal પર દબાણ વધ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર શું પોતાની પ્રોત્સાહન નીતિમાં ફેરફાર કરે છે કે પછી કોલસાના સપ્લાય અને આર્થિક શરતોમાં રાહત આપે છે.
