Unique Identification Authority of India (UIDAI) તેની ક્ષમતામાં મોટો વધારો કરવા જઈ રહ્યું છે. હાલના **10 કરોડ**ની સામે હવે દરરોજ **30 કરોડ** આધાર ઓથેન્ટિકેશન થઈ શકશે, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવશે.
ભારતનું આધાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે એક નવા અને મોટા પડાવ પર પહોંચવા જઈ રહ્યું છે. 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ 2026'માં UIDAI ના ચેરપર્સન નીલકંઠ મિશ્રાએ જાહેરાત કરી હતી કે સંસ્થા હવે દરરોજ 25 થી 30 કરોડ આધાર ઓથેન્ટિકેશન હેન્ડલ કરી શકે તેવી બેકએન્ડ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ આંકડો વર્તમાન 10 કરોડના આંકડા કરતાં ઘણો વધારે છે.
ડિજિટલ બેકબોનનું વિસ્તરણ
આજે દેશની 600થી વધુ સંસ્થાઓ આધાર ઓથેન્ટિકેશન સિસ્ટમ સાથે જોડાયેલી છે. નાણાકીય લેવડ-દેવડથી લઈને સરકારી યોજનાઓના લાભ સુધી દરેક જગ્યાએ આધારનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે 'આધાર મોબાઈલ એપ્લિકેશન' પણ એક ગેમ-ચેન્જર સાબિત થઈ છે, જેને અત્યાર સુધીમાં લગભગ 6 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.
ટેકનોલોજી અને સુરક્ષા પર ભાર
UIDAI હવે 'ઇનવિઝિબલ ઓથેન્ટિકેશન' તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં મેન્યુઅલ વેરિફિકેશનને બદલે ડિજિટલ ચેક્સ વધુ સ્મૂધ બનશે. આ સાથે જ ફ્રોડ અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવામાં આવશે. કોઈ પણ ઓથેન્ટિકેશન ફેલ થાય તો યુઝર્સને હવે તેનું સચોટ કારણ પણ મળી રહેશે, જેથી સમસ્યાનું નિરાકરણ ઝડપથી થઈ શકે.
ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને UIDAI હવે 'ઝીરો-ટ્રસ્ટ આર્કિટેક્ચર' અને 'પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી' જેવી સુરક્ષા પ્રણાલીઓ પર કામ કરી રહ્યું છે. આગામી 3 વર્ષોમાં સંસ્થા 'એજન્ટિક AI' રજૂ કરવાની યોજના ધરાવે છે, જેના દ્વારા ઓટોનોમસ AI એજન્ટ્સ યુઝરના બિહાફ પર હોટલ ચેક-ઈન જેવી પ્રક્રિયાઓ ફક્ત જરૂરી માહિતી શેર કરીને પૂર્ણ કરી શકશે.
