CBI એ Food Corporation of India (FCI) અને North Eastern Regional Agricultural Marketing Corporation (NERAMAC) ના અધિકારીઓ સહિત કુલ 8 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. તપાસનો મુખ્ય વિષય ₹28.87 કરોડનું રાઇસ ડાયવર્ઝન કૌભાંડ છે, જેમાં સબસિડીવાળું અનાજ ગરીબો સુધી પહોંચાડવાને બદલે ખાનગી વેપારીઓને વેચી દેવામાં આવ્યું હતું.
શું છે આખું કૌભાંડ?
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે 'ઓપન માર્કેટ સેલ સ્કીમ' (Domestic) નો ઉપયોગ કરીને ગરીબો માટે ફાળવાયેલા સસ્તા અનાજને બારોબાર ઓપન માર્કેટમાં વેચી દેવામાં આવ્યું હતું. આ કૌભાંડ એપ્રિલ અને મે 2026 ની વચ્ચે થયું હોવાનું મનાઈ રહ્યું છે.
નિયમોની કરી અવગણના
FCI દિલ્હી રીજિયને 50,645 મેટ્રિક ટન ચોખા NERAMAC ને ફાળવ્યા હતા, પરંતુ આ પ્રક્રિયામાં ફરજિયાત એ-ઓક્શન (e-auction) ના નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હતા. 2025-26 ની પોલિસી મુજબ NERAMAC આ ફાળવણી માટે પાત્ર ન હોવા છતાં, અધિકારીઓએ નિયમો તોડીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી દીધી હતી.
આર્થિક નુકસાન અને ખાનગી કંપનીઓની સંડોવણી
સરકારી તિજોરીને કુલ ₹28.87 કરોડનું નુકસાન થયું છે. આ આંકડો સબસિડીવાળા ભાવ (₹23,200 પ્રતિ મેટ્રિક ટન) અને માર્કેટ રેટ (₹28,900 પ્રતિ મેટ્રિક ટન) વચ્ચેના તફાવત પરથી ગણવામાં આવ્યો છે.
તપાસમાં ત્રણ ખાનગી કંપનીઓના નામ પણ સામે આવ્યા છે: Utapalakshi Agro Products, Dibesh Commercials અને Super Grains. આ કંપનીઓએ મધ્યસ્થી તરીકે કામ કરીને નરેલા, ઘેવરા અને માયાપુરીના ડેપોમાંથી અનાજ ઉપાડ્યું હતું અને ખોટા રેકોર્ડ ઊભા કરીને તેને બજારમાં ઊંચા ભાવે વેચી દીધું હતું.
