ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Bernstein એ ભારતીય ઈક્વિટી પર પોતાનો આઉટલુક બદલીને 'ન્યુટ્રલ' કર્યો છે. કંપનીએ ચેતવણી આપી છે કે હાલનો ગ્રોથ પ્રોડક્ટિવિટીને બદલે સરકારી સહાય પર નિર્ભર છે, જે લાંબાગાળે જોખમી બની શકે છે.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ Bernstein એ ભારતીય બજારોને લઈને સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. વર્ષના અંત સુધીમાં Nifty 50 માટે 26,000 નો ટાર્ગેટ આપતા, એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે ભારતનો વર્તમાન આર્થિક ઉછાળો ઓર્ગેનિક ગ્રોથને બદલે સરકારી હસ્તક્ષેપ અને સબસિડીનું પરિણામ હોઈ શકે છે. આ ફિસ્કલ સપોર્ટ લાંબાગાળે કેટલો ટકી શકશે, તે સૌથી મોટો પ્રશ્ન છે.
કંપનીઓના પ્રોફિટ પર દબાણ
બ્રોકરેજે રિપોર્ટમાં ખાસ મુદ્દો ઉઠાવ્યો છે કે NSE 200 કંપનીઓની રેવન્યુ 10-ક્વાર્ટર ની ઊંચાઈએ હોવા છતાં, નેટ પ્રોફિટ ગ્રોથ માત્ર 7% થી 8% ની આસપાસ જ રહ્યો છે. આ દર્શાવે છે કે ઘણી કંપનીઓ પાસે 'પ્રાઇસિંગ પાવર'નો અભાવ છે અને તેઓ વધતી જતી ખર્ચ સામે નફો જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે.
AI અને સ્ટ્રક્ચરલ જોખમો
Bernstein એ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન ભારતના સર્વિસ સેક્ટરને મોટો ફટકો આપી શકે છે. વધુમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ સબસિડી આધારિત પોલિસીઓ પર વધુ નિર્ભર હોવાથી ઉત્પાદકતામાં જોઈએ તેવો વધારો જોવા મળી રહ્યો નથી.
કઈ કંપનીઓ પર અસર?
આ વલણના કારણે બ્રોકરેજે પાવર ફાઇનાન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેવી કે PFC અને REC ના ટાર્ગેટ પ્રાઈસ ઘટાડ્યા છે. સ્પર્ધામાં વધારો અને લોન ગ્રોથમાં ધીમી ગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. રોકાણકારોને હવે એવી કંપનીઓ શોધવાની સલાહ આપવામાં આવી છે જે પોતાની ક્ષમતા અને મજબૂત બિઝનેસ મોડલ ધરાવતી હોય, ન કે માત્ર સરકારી યોજનાઓ પર નિર્ભર હોય.
