ભારતની બેંકિંગ સેવાઓ પર ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંકટના વાદળો છવાયેલા છે. Indian Banks’ Association (IBA) સાથેની વાતચીત નિષ્ફળ જતાં યુનિયન દ્વારા દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
દેશભરમાં બેંકિંગ કામગીરી પર અસર પડવાની સંભાવના છે, કારણ કે United Forum of Bank Unions (UFBU) એ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ નિર્ણય IBA સાથેની લાંબી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ લેવામાં આવ્યો છે. પબ્લિક સેક્ટર બેંકોએ આ હડતાળની અસરો અંગે SEBI ના નિયમો મુજબ શેરબજારોને જાણ કરવાનું શરૂ કરી દીધું છે.
હડતાળનું મુખ્ય કારણ શું છે?
આ વિવાદના કેન્દ્રમાં મુખ્યત્વે ૫-દિવસના કાર્યકાળ (Five-day work week) ની માંગ છે, જે છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ છે. આ ઉપરાંત, કર્મચારીઓ રિવાઇઝ્ડ Performance Linked Incentive (PLI) સ્કીમમાં રહેલી અસમાનતાનો પણ વિરોધ કરી રહ્યા છે. યુનિયનનું માનવું છે કે વર્તમાન ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર માત્ર સિનિયર ઓફિસર્સને લાભ આપે છે, જ્યારે સ્કેલ III સુધીના સ્ટાફની અવગણના થાય છે. આ સાથે પેન્શનના મુદ્દાઓ પણ હજુ ઉકેલાયા નથી.
ગ્રાહકો અને રોકાણકારો પર શું થશે અસર?
ગ્રાહકોએ નોંધવું જોઈએ કે બ્રાન્ચમાં થતી કામગીરી જેવી કે ચેક ક્લિયરન્સ, કેશ ડિપોઝિટ અને લોન પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે. જોકે, ડિજિટલ પ્લેટફોર્મ, મોબાઈલ બેંકિંગ અને ATM સેવાઓ કાર્યરત રહેશે, જે અર્થતંત્રને મોટા આંચકાથી બચાવશે.
રોકાણકારો માટે ચેતવણી
હાલમાં આ માત્ર એક દિવસની હડતાળ છે, પરંતુ યુનિયનના નેતૃત્વએ જો માંગણીઓ નહીં સંતોષાય તો ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ થી અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. આવી વારંવારની હડતાળ બેંકોની કાર્યક્ષમતા અને કર્મચારીઓના મનોબળને અસર કરી શકે છે, જે શેરના ભાવ પર નકારાત્મક દબાણ લાવી શકે છે.
