ભારતમાં હવે EV ઇન્ડસ્ટ્રી માટે સરકારી સબસિડીનો યુગ પૂરો થઈ રહ્યો છે. સરકારે આગામી પાંચ વર્ષમાં સબસિડી તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ઈન્ડિયાના ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટર માટે સરકાર હવે એક નવી રણનીતિ અપનાવી રહી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ સેક્રેટરી કામરાન રિઝવીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી 4 થી 5 વર્ષમાં સરકાર તરફથી મળતી આર્થિક મદદ કે સબસિડીને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે હવે ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ પરિપક્વ થઈ ગયું છે અને તેને હવે સરકારી ટેકાની જરૂર નથી.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં જોવા મળેલો મોટો ઉછાળો છે. ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું એડોપ્શન 50% સુધી પહોંચી ગયું છે, જે 2026 માટે નક્કી કરેલા 10% ના લક્ષ્યાંક કરતાં ઘણું વધારે છે. આ સાથે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ 7% જેટલું પેનિટ્રેશન જોવા મળ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને R&D પર ભાર
સરકારે ચાર્જિંગ નેટવર્ક બનાવવા માટે ₹2,000 કરોડ ફાળવ્યા છે, પરંતુ હવે જવાબદારી ઓટોમોબાઈલ કંપનીઓ પર સોંપવામાં આવી રહી છે. હવે કંપનીઓએ પોતે જ 60 વ્યૂહાત્મક નેશનલ કોરિડોર પર ચાર્જિંગ સ્ટેશન વિકસાવવાના રહેશે. આનાથી કંપનીઓએ હવે માત્ર ટેક્નોલોજી ખરીદનારને બદલે નવા સંશોધન (R&D) કરનાર બનવું પડશે.
રોકાણકારો માટે શું છે જોખમ?
ટૂંકા ગાળામાં જે કંપનીઓ સબસિડી પર નિર્ભર હતી, તેમના પ્રોફિટ માર્જિન પર દબાણ આવી શકે છે. કંપનીઓએ હવે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ખર્ચ વધારવો પડશે, જેની સીધી અસર કેશ ફ્લો પર પડી શકે છે. જે કંપનીઓ પોતાના ખર્ચ પર કાબૂ રાખી શકશે અને પોતાની ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ક્ષમતા ધરાવતી હશે, તે જ લાંબા ગાળે આ માર્કેટમાં ટકી શકશે. આગામી ક્વાર્ટરના પરિણામોમાં એ સ્પષ્ટ થશે કે કઈ કંપનીઓ સબસિડી વગર પણ પોતાનું નફો જાળવી રાખવા માટે સક્ષમ છે.
